સ્વામિનારાયણ સંપ્રદાય ની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ હતા. તેમનો જન્મ ઇ.સ. ૧૭૮૪ માં ખંભાત પાસે સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. ખુબ જ નાની ઉંમરથી સંત થઇ ગયેલાં. ખુબ જ નાની ઉંમરે તેમને સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દીક્ષા આપી હતી. તેમનું શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ અપાયું જે તેમનું અન્ય ઉપનામ પણ બન્યું. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમની એક રચના 'વંદુ સહજાનંદ રસરુપ, અનુપમ સારને રે લોલ" પર ભગવાન શ્રી સ્વામિનારાયણ આફરિન થઇને બોલી ઉઠેલાં કે આવી રીતે જેને ભગવાનનુ ચિંતન રહે છે તેને તો અમે આ સભામાં ષાષ્ટાંગ દંડવત કરીએ એમ થાય છે". તેમનું અવસાન ઇ.સ. ૧૮૫૬ માં ગઢડા ખાતે થયું.